- રાત્રે નેશનલ હાઇવે પર 13 ડીગ્રી તાપમાન થઈ જાય છે, રાત્રે ઠંડી ન લાગે એટલા માટે ધાબળા અપાય છે
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના ટેકામાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવામાં આવશે. પંજાબના ખેલાડીઓ અને કલાકારો સોમવારે અવોર્ડ વાપસીનું એલાન કરી શકે છે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે. એ પહેલાં બંધ નિર્ણાયક બનશે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં અહીં અડ્ડો જમાવી બેઠેલા ખેડૂતોને 11 દિવસ થઈ ગયા છે. બોર્ડર પર લગભગ 1 લાખ દેખાવકારો માટે દિવસ-રાત લંગર સેવા ચાલુ છે. એમાં જ્યૂસ, પિત્ઝા, દેશી ઘીના લાડુ, જલેબી, પાણીપૂરી, બદામ-અખરોટ પણ વહેંચાઈ રહ્યાં છે. નેશનલ હાઈવે પર માઈલો સુધી ટ્રેક્ટર-ટ્રોલીની લાઈનો લાગી છે. એને દેખાવકારોએ પોતાનું ઘર બનાવી દીધું છે. આંદોલનમાં આવેલા ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે આવો વિરોધ તેઓ પહેલીવાર જોઈ રહ્યા છે. ઘણા ખેડૂતો વિદેશથી સામેલ થયા છે. દરેક 10 ડગલે લંગર છે. શાકભાજીમાં મટર પનીર, કોબી-બટાકા, છોલે-પૂરી, મૂળાના પરોઠા, બટાકા-ડુંગળીના પરોઠા પણ બની રહ્યા છે. પંજાબના એક ગામમાંથી દેશી ઘીમાંથી બનેલા 15 ટન લાડુ આવ્યા છે. મલેર કોટલાના મુસ્લિમ સમાજે વેજ પુલાવની લંગર સેવા શરૂ કરી છે. રાત્રે શિયાળામાં ઠંડી ન લાગે એટલા માટે ધાબળા અપાય છે. સાબુ, બ્રશ અને પેસ્ટ મળી રહી છે. આંદોલન સ્થળે 15 મેડિકલ કેમ્પ ચાલે છે.
ભૂલિંદર પાલ સિંહ ગ્રીસથી આવ્યા છે. લંગરમાં રોટલી વણે છે. તેઓ કહે છે કે છ મહિનાનું રેશન લાવ્યા છે. દુબઈથી આવેલા ગુરપિંદર સિંહ કહે છે કે તેઓ અહીંથી ક્યારે જશે એ અંગે મોદીજી કહી શકે છે. જગરાઓના સજ્જેવાલ ગામથી આવેલા વિક્રમ સિંહ કહે છે કે રવિવારે ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનથી પણ ખેડૂતો આવ્યા છે. ટ્રાન્સપોર્ટ અને પેટ્રોલપંપ એસોસિયેશનવાળા ક્વિન્ટલ-ક્વિન્ટલ દૂધ આપી રહ્યા છે. હરિયાણાના ખેડૂતો ખાવા-પીવાનો કાચો સામાન, પેટ્રોલ-ડીઝલ અને સિલિન્ડર આપી રહ્યાં છે. હરિયાણા, પંજાબ મિલ્ક એસો. અને સ્થાનિક દૂધવાળા રોજ અનેક ટન દૂધ આપી રહ્યા છે.
ટીકરી અને સિંધુ બોર્ડરથી નનુ જોગિન્દરસિંહનો રિપોર્ટ
દિલ્હીની પહેલાં ટીકરી બોર્ડર આવે છે. રાતના 8 વાગી ચૂક્યા છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં લાઈટ ચાલુ છે અને આ ટ્રોલીમાં લગાવેલા ચાર્જિંગ પોઈન્ટથી મોબાઈલ ચાર્જ થઈ રહ્યા છે. જસવીર કૌર નત દેશના બાકી હિસ્સામાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલી મહિલાઓ સાથે મીટિંગ કરવામાં વ્યસ્ત છે. મીટિંગ ઝૂમ એપ પર થઈ રહી છે. એની મીટિંગમાં ચંદીગઢથી એક ટીચર પણ આવી છે. ખેડૂતોનાં ધરણાં અંગે વાત થઈ રહી છે ત્યારે યાદ અપાવાય છે કે આ જ રીતે અગાઉ પણ ધરણાં થયાં હતાં. તમામ આંદોલનમાં મહિલાઓની ભૂમિકા અંગે વાત થઈ રહી છે અને આગળની વ્યૂહરચના બનાવાઈ રહી છે.
હાલમાં કપાસ ચૂંટવાનું અને ઘઉં વાવવાની સીઝનને કારણે 20થી 25 ટકા મહિલા પહોંચી છે. ખેડૂતસભાની આ નાની ટ્રોલી તેનું ઘર છે, તેમાં તેની જરૂરિયાતનો દરેક સામાન છે. તેમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, લાઈટ, સીડી, ભોજન મૂકવાની જગ્યા વગેરે બનાવાઈ છે. ફોલ્ડિંગ હોવાથી એને ખોલીને બેસી શકાય છે. 26 નવેમ્બરથી આંદોલન પર બેઠેલા આ ખેડૂતોને ભોજનની તકલીફ ના પડે એ માટે મીઠાઈ અને નમકીન વસ્તુઓની એક ટ્રક આવી પહોંચી છે. અહીં હરિયાણાના લોકોએ પંજાબથી આવેલા ખેડૂતો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે, જેથી મહિલાઓને ખુલ્લામાં શૌચ કે નાહવાની તકલીફ પડે નહીં. બીજા દિવસે ટીકરી બોર્ડર પર સવારે મહિલા ખેડૂતો સ્ટેજને સાફ કરાવી રહી છે તો હરિયાણાના એક વૃદ્ધ નેતા યુવાનોને સુરક્ષાકર્મીઓ સામેથી હટવાનું કહે છે. તેઓ સ્ટેજ પરથી કહી રહ્યા છે કે જોશ સાથે હોશ જરૂરી છે. આ ભવિષ્યની લડાઈ છે. ધીરજથી લડવી પડશે. તમે લોકો શાંતિ રાખો. ભારતીય કિસાન યુનિયનની જગબીર કૌર કહે છે કે તૈયારી 3 મહિનાથી ચાલી રહી હતી.
કાયદો પાછો નહીં ખેંચાય, સુધારો કરી શકીએ છીએઃ કૈલાસ ચૌધરી
- કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ કહ્યું હતું કે હું નથી માનતો કે પોતાના ખેતરમાં કામ કરી રહેલા અસલી ખેડૂત આ અંગે ચિંતિત હોય. કેટલાક રાજકીય લોકો આગમાં ઘી નાખવાનો પ્રયાસ કરે છે. ખેડૂતો નવા કાયદાના ટેકામાં છે. મને નથી લાગતું કે કાયદો પાછો ખેંચવો જોઈએ, જરૂર પડે તો સુધારો કરી શકીએ છીએ.
- કૃષિ કાયદા સામે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ઉ.પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તામિલનાડુના ખેડૂતોએ આ બંધને ટેકો આપ્યો છે.
- ખેડૂતોના ભારત બંધને અગ્રણી વિપક્ષ કોંગ્રેસ સહિત 11 પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. આ પક્ષના નેતાઓએ 9 ડિસેમ્બરે સાંજે 5 વાગે રાષ્ટ્રપતિને મળવા સમય માગ્યો છે. આ ઉપરાંત 10 ટ્રેડ યુનિયનોનો પણ ટેકો છે.
- ઓલિમ્પિક મેડલિસ્ટ વિજેન્દ્રસિંહે આંદોલનને ટેકો આપી કહ્યું છે કે કાયદો પરત નહીં ખેંચાય તો તેઓ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર આપી દેશે.
- મુંબઈમાં અકાળી દળના નેતા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવને મળ્યા હતા. ઉદ્ધવે આંદોલનને ટેકો આપ્યો છે. બે સપ્તાહ પછી દિલ્હીમાં થનારી બેઠકમાં પણ તેઓ ભાગ લેશે.
- ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે રવિવારે કહ્યું હતું કે 8 ડિસેમ્બરે સવારથી સાંજ સુધી બંધ રહેશે. ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી થશે.