- લુઈસ કહાનના સંતાનો બાદ પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પત્ર લખી વિરોધ નોંધાવ્યો
અમદાવાદ ખાતેની IIMAમાં ડોર્મેટરી બિલ્ડીંગો તોડી નવુ બાંધકામ કરવા કરાયેલા પ્લાનિંગ સામે હવે પૂર્વ વિદ્યાર્થીઓ સહિત વિશ્વિક સ્તરે રોષ ફેલાયો છે. બિલ્ડીંગની ડિઝાઈન તૈયાર કરનારા વર્લ્ડ ફેમસ અમેરિકન આર્કિટેક્ટ લુઈહ કહાનના સંતાનોએ પત્ર લખી વિરોધ નોંધાવ્યા બાદ IIMA અમદાવાદના વિવિધ બેંચના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ ડિરેકટર અને ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેનને પત્ર લખી વિરોધ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને પણ પત્ર લખી બિલ્ડીંગો તોડવાના નિર્ણય સામે આકરી ટીકા કરી છે.
IIMA અમદાવાદ અમારા માટે ગર્વ અને પ્રેરણાદાયકઃ એલ્યુમની
IIMA-અમદાવાદ વિશ્વની ટોપ મેનેજમેન્ટ સંસ્થા ગણવામા આવે છે ત્યારે આ ટોપ બિઝનેસ મેન્ટ સ્કૂલ દ્વારા જ પ્લાનિંગમાં મોટું મિસ મેનેજમેન્ટ થયુ હોય તેવી ચર્ચાઓ હવે ઉઠી છે. ડિરેકટરે પૂર્વ વિદ્યાર્થીઓને પત્ર લખી નિર્ણય અંગે જાણ કર્યા બાદ હવે પૂર્વ વિદ્યાર્થીઓએ પણ સંસ્થાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વિવિધ બેચના પૂર્વ વિદ્યાર્થીઓએ ડિરેકટર સહિત ઈન્સ્ટિટયુટના ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન કુમારમંગલમ બિરલાને પત્ર લખી ફરિયાદ કરી છે કે એલ્યુમની એ ઈન્સ્ટિટયુટના મેઈન સ્ટેક હોલ્ડર છે અને વૈશ્વિક સ્તરે ઈન્સ્ટિટયુટને પ્રમોટ કરવામા એલ્યુમનીનો મોટો ફાળો છે છતાં એલ્યુમની સાથે ચર્ચા કર્યા પહેલા જ કેમ બિલ્ડીંગો તોડવાનો નિર્ણય લેવાયો? IIMA અમદાવાદ અમારા માટે ગર્વ અને પ્રેરણાદાયક છે. ત્યારે હેરિટેજ બિલ્ડીંગો તોડવાનો નિર્ણય અમારા આઘાતજનક અને દુઃખદાયક છે. એલ્યુમની સાથે આ મુદ્દે અર્થપૂર્ણ ચર્ચા કરવી જોઈએ.માત્ર એલ્યુમની જ નહી પરંતુ વૈશ્વિક સ્તરે નવા બાંધકામના નિર્ણયનો વિરોધ શરૃ થયો છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને ડિરેકટરને પત્ર લખી ફરિયાદ કરી
કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને ડિરેકટરને પત્ર લખી ફરિયાદ કરી છે કે વિશ્વના ખ્યાતનમાં આર્કિટેકચર પ્રોગ્રામના ડીન,શિક્ષણવિદ તથા એક આર્કિટેકટ તરીકે હું માનુ છું કે ઈન્સ્ટિટયુટે પરિવર્તન કરવુ પડે છે અને આગળ વધવુ પડે છે પરંતુ આ રસ્તો નથી. IIMA અમદાવાદમાં બનેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ્સ એ ઈન્સ્ટિટયુટને હિસ્ટોરિક કેમ્પસ હાવોનું બિરૂદ આપે છે ત્યારે આ બિલ્ડીંગો તોડવાનો નિર્ણય યોગ્ય નથી. કેલિફોર્નિયા યુનિ.ના આર્કિટેકચર ડીને ડિરેક્ટરને સંબોધન કરતા જણાવ્યુ કે મને વિશ્વાસ છે કે તમારા બિલ્ડીંગો તોડવાના પ્લાનને લઈને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચર્ચા ઉઠી છે. એડવાન્સ્ડ નેશનની કોઈ સંસ્થા દ્વારા આ રીતે એકતરફી નિર્ણય ન લેવાવો જોઈએ.