- દુનિયામાં 11.05 લાખથી વધુ લોકોનાં મોત, 2.95 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ
- અમેરિકામાં 2.23 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, 53 લાખથી વધુ સ્વસ્થ
દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.93 કરોડથી વધુ થઈ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2.95 લાખથી વધુ થઈ ચૂકી છે. મૃતકોનો આંકડો 11.05 લાખને પાર થયો છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે.
હોંગકોંગે 17થી 30 ઓક્ટોબર સુધી એર ઈન્ડિયા અને વિસ્તારાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. બંને ફ્લાઈટ્સમાં સંક્રમિત મુસાફરો મળ્યા પછી આ નિર્ણય લેવાયો છે. આ ત્રીજી વખત છે જ્યારે હોંગકોંગની સરકારે એર ઈન્ડિયની ફ્લાઈટ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ અગાઉ 20 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 18થી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવાયો હતો.
જો કે, કોરોનાવાયરસના સમયમાં વિસ્તારાની ફ્લાઈટ્સ પ્રથમવાર રદ કરાઈ છે. જુલાઈમાં ત્યાંની સરકાર દ્વારા જારી નિયમો અનુસાર, ભારતથી મુસાફરો માત્ર ત્યારે જ ત્યાં જઈ શકે છે જ્યારે તેમની પાસે મુસાફરી માટે 72 કલાક અગાઉ કરાયેલા ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય.
આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ
દેશ | સંક્રમિત | મોત | સ્વસ્થ થયા |
અમેરિકા | 82,35,136 | 2,23,045 | 53,21,508 |
ભારત | 73,83,104 | 1,12,357 | 64,66,336 |
બ્રાઝિલ | 51,70,996 | 1,52,513 | 45,99,446 |
રશિયા | 13,69,313 | 23,723 | 10,56,582 |
સ્પેન | 9,72,958 | 33,553 | ઉપલબ્ધ નથી |
આર્જેન્ટિન | 9,49,063 | 25,342 | 7,64,859 |
કોલંબિયા | 9,36,982 | 28,457 | 8,26,831 |
પેરુ | 8,59,740 | 33,577 | 7,64,750 |
મેક્સિકો | 8,34,910 | 85,285 | 6,08,188 |
ફ્રાંસ | 8,09,684 | 33,125 | 1,04,082 |
અમેરિકામાં સંક્રમણની ત્રીજી લહેર શરૂ
અમેરિકામાં સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. શુક્રવારે સંક્રમિતોની સંખ્યા 82.35 લાખને પાર થઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રમાણે, નિષ્ણાતોએ મહામારીના આ આગલા સ્ટેજ પર પહોંચવા અંગે ચિંતા જાહેર કરી છે, કેમકે દેશના 41 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તેમાંથી 17 રાજ્યો એવા છે જ્યાં અગાઉ ઓછા સંક્રમિતો મળી રહ્યા હતા.
યુરોપમાં કેસ વધ્યા
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ અનુસાર, યુરોપમાં કોરોનાના નવા કેસોમાં વધારો અમેરિકાની તુલનામાં ઘણો વધારે છે. જોન્સ હોપકિન્સના આંકડા પ્રમાણે, અમેરિકામાં 6થી 13 ઓક્ટોબર વચ્ચે જેટલા કેસ મળ્યા, તેની તુલનામાં યુરોપનાં પાંચ સૌથી પ્રભાવિત દેશોમાં 42% વધુ કેસ સામે આવ્યા છે.
13 ઓક્ટોબરે અમેરિકામાં લગભગ 49,542 કેસ મળ્યા હતા. જ્યારે, યુરોપના ફ્રાંસ, યુકે, રશિયા, સ્પેન અને નેધરલેન્ડમાં એ જ દિવસે 70,158 કેસ મળ્યા હતા. પાંચ યુરોપીયન દેશોની વસતી લગભગ 343 કરોડ છે, જ્યારે અમેરિકાની વસતી 33.1 કરોડ છે.
અમેરિકાઃ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ કમલા હેરિસે પણ તમામ મુલાકાતો ટાળી
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની પ્રેસિડેન્શિયલ ઉમેદવારના કેમ્પેનના કમ્યુનિકેશન ડાઈરેક્ટર અને તેમની ફ્લાઈટનો એક સ્ટાફ સંક્રમિત મળ્યા છે. હેરિસના કેમ્પેન મેનેજર જેન ઓ મૈલી ડિલોને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે કમલા આ સ્ટાફના સંપર્કમાં આવ્યા નથી. તેમણે ક્વોરેન્ટાઈન થવાની જરૂર નથી. જો કે, સાવધાની રાખીને તેમણે પોતાની તમામ મુલાકાતો ટાળી છે. કર્મચારી સંક્રમિત મળ્યા પછી કમલાએ બે વાર ટેસ્ટ કરાવ્યા છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ફ્રાંસઃ 24 કલાકમાં 30000 નવા સંક્રમિત મળ્યા
ફ્રાંસમાં ગત 24 કલાકમાં 30621 સંક્રમિતો મળ્યા હતા. આ મહામારી શરૂ થયા પછીનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ગૃહ મંત્રી ગેરાલ્ડ ડર્મેનિયને શુક્રવારે કહ્યું હતું કે શનિવારથી દેશના તમામ મુખ્ય શહેરોમાં કર્ફ્યૂ કડકાઈથી લાગુ કરાવવામાં આવશે. તેના માટે 12000 પોલીસકર્મીઓને તહેનાત કરાશે. દેશમાં અત્યાર સુધીમાં 8 લાખ 9 હજાર 684 સંક્રમિતો મળ્યા છે અને 33000થી વધુ લોકોનાં મોત થયા છે. ગત બુધવારે રાજધાની પેરિસ સહિત 8 રાજ્યોમાં કર્ફ્યૂ લગાવવાનું એલાન કરાયું હતું.

જર્મનીઃ સરકારનો કર્ફ્યૂ લગાવવાનો ઈનકાર
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે રાતે સ્પષ્ટ કર્યુ હતું કે સંક્રમણની બીજી લહેર પછી પણ દેશમાં લોકડાઉન નહીં લગાવવામાં આવે. મર્કેલે એક નિવેદનમાં કહ્યું હતું – તેમાં કોઈ બેમત નથી કે આપણે મહામારીના સમયમાં છીએ અને સ્થિતિ હવે ગંભીર બની ચૂકી છે. અમે ઈચ્છીએ છીએ કે સંક્રમિતોની ભાળ મેળવીને તેમનો ઈલાજ કરવામાં આવે. દેશના તમામ સંબંધિત હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ કામમાં સાથ આપી રહ્યા છે. દરરોજ કેસ વધી રહ્યા છે. ઈકોનોમીની ચિંતા છે, તેથી બીજું લોકડાઉન લગાવી શકીએ તેમ નથી, જે રીતે અન્ય યુરોપીયન દેશો કરી રહ્યા છે.

આર્જેન્ટિનાઃ સંક્રમિતોની સંખ્યા 9.49 લાખથી વધુ
આર્જેન્ટિનામાં ગત 24 કલાકમાં 17096 નવા સંક્રમિતો મળ્યા છે. આ સાથે જ દેશમાં હવે સંક્રમિતોનો આંકડો 9 લાખ 49 હજાર 063 થયો છે. ગુરૂવારે અહીં 421 લોકોનાં મોત થવાની સાથે મોતની સંખ્યા 25342 થઈ છે. આરોગ્ય મંત્રાલયના અનુસાર, દેશમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 7 લાખ 64 હજાર 859 લોકો સ્વસ્થ થયા છે. સરકારે કહ્યું છે કે વધતા સંક્રમણને જોઈને કોરોના સંલગ્ન પ્રતિબંધો આકરા કરવાનું આયોજન થઈ રહ્યું છે.
