PM મોદી 83 દિવસ પછી દિલ્હી બહાર નીકળ્યા, કોલકાતા રવાના; બંગાળ-ઓરિસ્સામાં પ્રભાવિત વિસ્તારનો એરિયલ સર્વે કરશે

india
  • વડાપ્રધાન મોદી આ પહેલાં 29 ફેબ્રુઆરીએ દિલ્હીથી પ્રયાગરાજ અને ચિત્રકુટની મુલાકાતે ગયા હતા
  • વાવાઝોડા અમ્ફાનના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે વરસાદની શક્યતા

કોલકાતા. બંગાળની ખાડીમાંથી આવેલું આ સદીનું સૌથી તાકાતવાર વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ-ઓરિસ્સામાં વિનાશ કરીને બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે. તેના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 76 થઈ ગઈ છે. તેમાંથી 19 લોકોના મોત તો કોલકાતામાં જ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી કોલકાતા જવા રવાના થઈ ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનની માહિતી મેળવશે. તેઓ 83 દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલાં તેઓ 29 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા.

કોલકાતામાં બુધવારે રાતે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી 220 મિમી વરસાદ નોંધાયો, ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

7 લાખ લોકોને સુરક્ષીત સ્થળ પર પહોંચાડ્યા

વાવાઝોડામાં અંદાજ કરતા વધારે નુકસાન થયું હોવાથી એનડીઆરએફની વધારે ચાર ટીમ કોલકાતા રવાના કરવામાં આવી છે. બંગાળમાં પહેલેથી 41 ટીમ છે. તે સિવાય સેના, નેવી અને વાયુસેનાની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે. બીજી બાજુ બંગાળ અને ઓરિસ્સામાં પહેલેથી જ 7 લાખ લોકોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. બંગાળમાં 5 લાખ લોકોને તટીય વિસ્તારમાંથી હટાવવામાં આવ્યા છે. બંગાળમાં કોલકાતા, હાવડા, હુગલી સહિત 7 જિલ્લા ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

મમતા બેનરજીએ કહ્યું- રાજ્યને 1 લાખ કરોડનું નુકસાન

  • મમતા બેનરજીએ ગુરુવારે વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંના નુકસાનને જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત થયા છે. મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે.
  • મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે. કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટનેટ લાઈનોને પણ નુકસાન થયું છે. 1200થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે.

283 વર્ષનું સૌથી તાકાતવર વાવાઝોડું
અમ્ફાન બંગાળમાં 283 વર્ષનું સૌથી તાકાતવર વાવાઝોડું છે. 1737માં ગ્રેટ બંગાલ સાઈક્લોનમાં 3 લાખ લોકોના મોત થયા હતા. બીજી બાજુ ઓરિસ્સામાં 1999માં સુપર સાઈક્લોન આવ્યું હતું. જેમાં 10 હજાર લોકોના મોત થયા હતા.

વીજળી અને કેબલના થાંભલાઓ સહિત ટેલિફોન અને ઈન્ટરનેટ લાઈનોને પણ નુકસાન થયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *