- 11 ભૂદેવો દ્વારા 12,34,567 હોમાત્મક મંત્રોચ્ચાર થશે
- આખા વિશ્વમાંથી કોરોનાની મહામારીનું સંકટ દૂર થાય
- મહામારીમાં મોક્ષ દ્વારે ગયેલા દિવ્ય આત્માને શાંતિ મળે
માંડલ ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારી સામે લડવા માટે મંગળવારથી અનુષ્ઠાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીમાં જે મોક્ષ દ્વારે ગયા છે, એવા દિવંગત આત્માને શાંતિ મળે અને આખા વિશ્વમાંથી મહામારીનું સંકટ દૂર થાય એ આ મહા અનુષ્ઠાનો મુખ્ય હેતુ છે.
અમદાવાદઃ માંડલ ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા મહાશક્તિ મહાકાલ અનુષ્ઠાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અનુષ્ઠાનમાં ભૂદેવો 2 કરોડ જેટલા મંત્રોનું ઉચ્ચારણ કરશે. 27 એપ્રિલથી લઈને 18 જુલાઇ અષાઢ માસની ગુપ્ત નવરાત્રિની નોમ એટલે કે કુલ ૮૩ દિવસો સુધી અનુષ્ઠાન ચાલશે.

શ્રી ખંભલાય મંદિરમાં મહાશક્તિ મહાકાલ મૃત્યુંજય મહા અનુષ્ઠાન
આ કોરોના વાઇરસની મહામારીનું દેશમાંથી સંકટ દૂર થાય. આ મહામારીમાં મોક્ષ દ્વારે ગયા છે, એ દિવ્ય આત્માને શાંતિ મળે તે હેતુથી નવ ભૂદેવોએ ૐ એ હી કલી ચામુંડાયે વિચ્ચૈ નમઃ તેમજ ચતુર્દશ પ્રણવ યુક્ત મહાકાલ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવશે. આ 83 દિવસ દરમિયાન 11,11,111 મંત્રો, જેમાં એક મંત્ર દિઠ 14 વખત ૐ નુ ઉચ્ચારણ થવાનું છે તેમજ આ મંત્રથી 11 ભૂદેવો દ્વારા 12,34,567 હોમાત્મક મંત્રોચાર થશે. આમ લગભગ 2 કરોડ વખત ૐ નુ ઉચ્ચારણ કરવામાં આવશે.

અનુષ્ઠાનમાં બેસનાર ભૂદેવોને સંસ્થા તરફથી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી
આ અનુષ્ઠાનનો પ્રારંભ સંસ્થાના મેનેજર કનકભાઈ દવે, સ્ટાફમાંથી નિકેતન પંડ્યા, અજય ઠાકોર અને બીપીનભાઈ દ્વારા રીબીન કાપી ભવ્ય પૂજા વિધિ સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી મુકેશભાઈ રાવલ, ટ્રસ્ટીઓ સહીત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને અનુષ્ઠાનમાં બેસનાર ભૂદેવોને સંસ્થા તરફથી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આખા વિશ્વમાંથી કોરોના મહામારીનું સંકટ દૂર થાય અને મહામારીમાં જે મોક્ષ દ્વારે ગયા છે, એવા દિવ્ય આત્માને શાંતિ મળે.