- એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરી, કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ કરિપુર જશે
- વંદે ભારત મિશન હેઠળ આ ફ્લાઈટ AXB-1344 દુબઈથી કોઝિકોડ પહોંચી હતી
કોઝિકોડ. કેરળમાં શુક્રવાર સાંજે બનેલી વિમાન દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 18 થઈ ગયો છે. જેમા બન્ને પાયલટ પણ સામેલ છે. વિમાનનું બ્લેકબોક્સ મળી ગયું છે. તો આ તરફ તપાસ ટીમોને લઈને એક વિમાન દિલ્હીથી, જ્યારે પીડિતો અને તેમના પરિવારોની મદદ માટે એક સ્પેશ્યલ ફ્લાઈટ મુંબઈથી કોઝીકોડ પહોંચી છે. એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પી. વિજયન પણ ત્યાં જઈ રહ્યા છે. આ સાથે જ અમેરિકાએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
ગઈ કાલે વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઈટ AXB-1344 દુબઈથી કોઝિકોડ પહોંચી હતી. વિમાનના ક્રેશ લેન્ડિગમાં 2 પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે. 127 લોકોની સારવાર ચાલી રહી છે.ડોક્ટર્સનું કહેવું છે કે આમાથી ઘણાની હાલત ગંભીર છે. વિમાનમાં કુલ 190 લોકો સવાર હતા, જેમાં 128 પુરુષ, 46 મહિલાઓ, 10 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ હતા.
અપડેટ્સ
- દુબઈમાં ભારતીય દૂતાવાસ શનિવારે ખુલ્લુ રહેશે, જેથી મૃતકોના પરિવાર અને ઘાયલોની મદદ કરી શકાય.
- એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ કહ્યું-127 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.અન્યને સારવાર બાદ રજા આપી દેવાઈ છે. હું પણ કરિપુર જઈ રહ્યો છું. વિમાનમાં આગ લાગી ગઈ હોત તો અમારું કામ મુશ્કેલ થઈ જતું.
- કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પી વિજયન કરિપુર જશે.
- એરક્રાફ્ટ એક્સીડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)અને ફ્લાઈટ સેફ્ટી ડિપાર્ટમેન્ટ(FSD)ની ટીમ દુર્ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
- અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેરળમાં બનેલી વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તો સાથે અમારી સંવેદનાઓ છે. અમે દુઃખની આ ઘડીમાં માર્યા ગયેલા લોકોના પરિવાર અને મિત્રો સાથે છીએ. સાથે જ ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.



2 વખત લેન્ડિગ ટાળવામાં આવ્યું
આ દુર્ઘટના શુક્રવાર સાંજે 7.41 વાગ્યે બની હતી. ફ્લાઈટ ભારે વરસાદ દરમિયાન એરપોર્ટના રનવે નંબર 10 પર લેન્ડ થઈ રહી હતી. પાયલટને લેન્ડિગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. 2 વખત લેન્ડિગ ટાળી પણ દેવાયું. ત્રીજા પ્રયાસ દરમિયાન ફ્લાઈટ લપસી ગઈ અને રન-વે થી આગળ નીકળી ગઈ. વિમાન 35 ફુટ ઊંડી ખાઈમાં પડી ગયું
દુર્ઘટનામાં જીવ ગુમાવનારામાં એરફોર્સના રિટાયર્ડ વિંગ કમાંડર દીપક વસંત સાઠે અને કો-પાયલટ અખિલેશ કુમાર પણ સામેલ છે, જે વિમાન ઉડાવી રહ્યા હતા. દુર્ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા હતા.

સરકાર શું કરી રહી છે?
- દુર્ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ પી. વિજયન સાથે ચર્ચા કરી.
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NDRFને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવા માટે કહ્યું.
- CM વિજયને પોલીસ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચવા માટે અને મેડિકલ સપોર્ટ આપવા માટે કહ્યું.
- દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે હેલ્પલાઈન નંબર 056 546 3903, 0543090572, 0543090572, 0543090575 જાહેર કર્યો
- કોઝિકોડ એરપોર્ટનો હેલ્પલાઈન નંબર 0495-2376901 છે.
- DGCએ કેસની તપાસના આદેશ આપ્યા.
10 વર્ષ પહેલા મેંગલોરમાં આવી દુર્ઘટના બની હતી
22 મે 2010માં મેંગલોર એરપોર્ટ પર પણ આવી જ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે પણ વિમાન એર ઈન્ડિયા એક્સપ્રેસનું હતું અને દુબઈથી પાછુ આવી રહ્યું હતું. મેંગલોર પણ ટેબલ ટોપ એરપોર્ટ છે. જેનો અર્થ છે કે આ એરપોર્ટ એક પહાડ પર છે.