કોરોના વેક્સિનની ટ્રાયલનાં સકારાત્મક પરિણામો મળતાં જ દેશના ખૂણે ખૂણે વેક્સિન પહોંચાડવાની તૈયારી તેજ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર જે.પી. સિંહે જણાવ્યું હતું કે અમારાં તમામ એરપોર્ટ તૈયાર છે. સરકારનો નિર્દેશ મળતાં જ અમે વેક્સિન લોજિસ્ટિક્સનું કામ શરૂ કરી દઈશું. દિલ્હી એરપોર્ટના મીડિયા રિલેશન મેનેજર સર્વોત્તમે કહ્યું હતું કે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારી પાસે 1.5 લાખ મેટ્રિક ટન કોલ્ડ ચેઈન સ્ટોરેજની ક્ષમતા છે. મુંબઈ તો આ મામલામાં પણ બે ડગલાં આગળ છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વેક્સિન મેનેજમેન્ટ માટે ઝડપથી એક ટાસ્કફોર્સ બનાવાઈ રહી છે. આ ફોર્સ એરપોર્ટ પર ગ્રાહકો, કંપનીઓ અને સરકારી સંસ્થાઓ વગેરે વચ્ચે સેતુનું કામ કરશે.
નાગરિકોને સરળ ભાષામાં વેક્સિન વિશે સમજાવો: વડાપ્રધાનની ત્રણ કંપનીને અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વેક્સિન વિકસિત અને ઉત્પાદન કરી રહેલી ત્રણ ટીમ સાથે ઓનલાઈન બેઠક કરી હતી, જેમાં જિનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડૉ. રેડ્ડીના પ્રતિનિધિઓ સામેલ હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી કે વેક્સિન સાથે સંકળાયેલી તમામ બાબતો લોકોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરો. આ દરમિયાન મોદીએ વેક્સિનની મંજૂરીને લગતી પ્રક્રિયા અને બીજા મામલામાં સૂચનો માંગ્યાં હતાં. આ સાથે સંબંધિત વિભાગોને વેક્સિન કંપનીઓ સાથે વિવિધ મુદ્દા સુલઝાવવાની વાત કરીને વેક્સિન ડિલિવરી, લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટ અને કોલ્ડસ્ટોરેજ ચેઈન અંગે વાત કરી હતી.
દુનિયામાં સપ્લાયનું ગણિત: 14 અબજ ડોઝ પહોંચાડવા 8000 કાર્ગો વિમાન
દુનિયાની વસતી આશરે સાત અબજ છે. પ્રતિ વ્યક્તિ બે ડોઝના હિસાબે આ તમામ માટે 14 અબજ ડોઝની જરૂર પડે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સીઈઓ એલેક્ઝાન્ડર ડે જુનૈકે કહ્યું કે દુનિયાભરમાં વેક્સિન ટ્રાન્સપોર્ટેશન જ સૌથી જટિલ કામ છે. આ માટે 110 ટન ક્ષમતા ધરાવતા જમ્બો જેટબોઈંગ-747 વિમાનોએ ઉડાન ભરવી પડશે.
મુંબઈની તૈયારી: 24 કલાકની કસ્ટમર કેર સેવા શરૂ થશે
- અહેવાલો પ્રમાણે, આકરી સુરક્ષા વ્યવસ્થા સાથે આ ટાસ્કફોર્સ ઓછા તાપમાન ધરાવતા સ્ટોરનું મેનેજમેન્ટ કરશે.
- નિયામક સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરી લઈને વેક્સિનના પરિવહનમાં લાગતા સમયને ઓછો કરવા પર ધ્યાન અપાશે. ઉત્પાદનથી લઈને લોકોને વેક્સિન લગાવવા સુધી કોલ્ડ સ્ટોરેજ ચેઈનની વ્યવસ્થા જોશે.
- મુંબઈ એરપોર્ટ પર અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ચાલનારું કસ્ટમર કેર સર્વિસ સેન્ટર બનશે. ત્યાં દેશમાંથી આયાત-નિકાસ થનારી વેક્સિન સાથે સંકળાયેલી તમામ મુશ્કેલીઓના ઉકેલ મળશે.
જુલાઈ-ઓગસ્ટ સુધી 30 કરોડો લોકોને વેક્સિન આપવાની યોજના: હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આગામી છ મહિનામાં દેશમાં 25થી 30 કરોડને વેક્સિન આપવાની યોજના છે. આગામી ત્રણ-ચાર મહિનામાં દેશભરમાં વેક્સિન મળી જાય એવી પણ શક્યતા છે.