ભંડારા જિલ્લા હોસ્પિટલમાં આગ પ્રકરણમાં તપાસ દરમિયાન અત્યંત આંચકાજનક માહિતી બહાર આવી છે. આ આગમાં દસ નવજાતનાં ગૂંગળાઈને મોત થયાં હતાં, પરંતુ સ્થાનિક પોલીસે હજુ સુધી કોઈની સામે ગુનો દાખલ કર્યો નથી. પોલીસ ફોરેન્સિક લેબના અમુક અહેવાલની વાટ જોઈ રહી છે, જે પછી જવાબદારી નિશ્ચિત કરીને ગુનો દાખલ કરશે. દરમિયાન ફોરેન્સિક લેબે પોલીસ પાસેથી મળેલી ડીવીઆરમાં એક સીસીટીવી ફૂટે મેળવ્યું છે, જેમાં આખી ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે.
સીસીટીવી ફૂટેજ અનુસાર 9 જાન્યુઆરીની મધરાત્રે 1.40 વાગ્યે આ ઘટના બની હતી. આ સીસીટીવી ફૂટેજ તે રૂમના છે જ્યાં 10 નવજાત દાઝ્યા હતા. સીસીટીવી ફૂટેજ અનુસાર ધુમાડાને લીધે નવજાત આશરે 21 મિનિટ સુધી ચીસો પાડતા રહ્યા, પરંતુ તેને બચાવવા માટે કોઈ રૂમમાં આવ્યું નહોતું. ઉપરાંત હોસ્પિટલમાં કોઈ પણ કર્મચારી તે રૂમમાં હાજર નહોતો. સીસીટીવી ફૂટેજમાં ઓડિયો પણ રેકોર્ડ થયો હતો, જેમાં આશરે 21 મિનિટ સુધી નવજાત ધુમાડાને લીધે બૂમો પાડતા, રડતા, ચીસ પાડતા દેખાય છે.
મુંબઈમાં સાંતાક્રુઝ કાલીના સ્થિત રાજ્ય સંચાલક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પોતાના અહેવાલમાં હોસ્પિટલની ગંભીર બેદરકારીના સંકેત આપ્યા છે. આ પછી ભંડારા પોલીસે વધુ અમુક ડીવીઆર મોકલીને અમુક પ્રશ્નોના ઉત્તરો માગ્યા છે. આ ઘટના પછી ભંડારા પોલીસે હોસ્પિટલના ત્રણ ડિજિટલ વિડિયો રેકોર્ડર, એટલે કે, ડીવીઆર કાલીનાની લેબમાં મોકલ્યા હતા. હોસ્પિટલના એસએનસીયુની અંદર અને બહાર સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીને જોઈત હતા, જેમાં 10 નવજાતનાં મોત થયાં હતાં.ફોરેન્સિક વિભાગે સીસીટીવી ફૂટેજનો ડેટા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ વિડિયો એસએનસીયુની અંદરનો છે, જેમાં સ્પષ્ટ થાય છે કે રૂમમાં આગ હતી ત્યારે 21 મિનિટ સુધી કોઈ પણ રૂમની અંદર દેખાતું નથી.
નર્સ ક્યાં ગાયબ થઈ ગઈ
ફોરેન્સિક લેબને પ્રાપ્ત સીસીટીવી ફૂટેજના અહેવાલ અનુસાર આગ લાગવા સમયે નર્સો તેના નર્સિંગ સ્ટેશનમાંથી ગાયબ હતી એવું સ્પષ્ટ દેખાયું છે. હોસ્પિટલના અન્ય કર્મચારીઓને પણ આગ લાગી હોવાની માહિતી લગભગ 21 મિનિટ પછી મળી હતી. કામના સ્થળે નર્સની ગેરહાજરી હોસ્પિટલની બેદરકારી સિદ્ધ કરે છે. આ પ્રકરણમાં ફોરેન્સિક લેબ તેનો બીજો અહેવાલ આ અઠવાડિયાના અંત સુપરત કરવાની શક્યતા છે.
સરકારે આ કાર્યવાહી કરી છે
સરકારે 21 જાન્યુઆરીના પ્રાથમિક તપાસના અહેવાલ પછી સિવિલ સર્જન ડો. પ્રમોદ ખંડાતે, તબીબી અધિકારી અર્ચના મેશ્રામ, નર્સ ઈનચાર્જ જયોતિ ભારસ્કરને સસ્પેન્ડ કર્યાં છે, જ્યારે એડિશનલ સિવિલ સર્જન ડો. સુનિતા બડેની બદલી કરી છે ,જ્યારે બાળરોગ નિષ્ણાત સુશીલ અંબડે, સ્ટાફ નર્સ સ્મિતા આંબુલડુકે, શુભાંગી સાઠવણેને સેવામુક્ત કરવામાં આવી છે. જોકે મૃત નવજાતના કુટુંબીઓએ દોષીઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છે.
દુર્ઘટના બની ત્યારે સ્ટાફ કેમ ગાયબ હતો
જિલ્લા સામાન્ય હોસ્પિટલના 41માંથી 27 ડોક્ટર એનપીએ ભથ્થું લેતા નહીં હોઈ સરકારી સેવા સાથે ભંડારા શહેરની ખાનગી હોસ્પિટલ ચલાવે છે. આથી કાર્યાલયના સમયે મોટા ભાગનો સ્ટાફ હોસ્પિટલમાં હાજર રહેતો નહીં હોવાથી આવી ઘટનાઓ બને છે. આથી તેની પર ધ્યાન રાખવું જોઈએ, એવી માગણી ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય ચરણ વાઘમારેએ કરી છે.