નવી દિલ્હી. વિવાદિત ક્ષેત્રોમાંથી પોતાના સૈનિકો હટાવી લીધા હોવાના ચીનના દાવાને ભારતે રદિયો આપ્યો છે. સરકારે કહ્યું છે કે વાતચીત છતાં ગોગરા, પેંગોંગ લૅક અને દેપસાંગ વિસ્તારમાં સ્થિતિમાં ઝાઝો ફરક નથી પડ્યો. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ વાટાઘાટો દરમિયાન તો સૈનિકો હટાવવા તૈયારી બતાવી હતી પણ તેના પર અમલ નથી કર્યો. નોંધનીય છે કે ગઇ કાલે ચીને એવો દાવો કર્યો હતો કે તંગદિલી ઘટી રહી છે. સરહદે મોટા ભાગનાં સ્થળોએ બંને દેશના સૈનિકો સંપૂર્ણપણે પાછા હટી ચૂક્યા છે.
ભારત સરકારે બુધવારે જણાવ્યું કે ચીનને જવાબ આપવા સરહદે વિવાદિત સ્થળો પર ભારતના કુલ 35 હજાર સૈનિકો તહેનાત થઇ ગયા છે. તંગદિલી લાંબી ચાલવાની આશંકા જોતાં સૈન્ય હવે ઊંચાઇવાળાં ક્ષેત્રોમાં આગામી શિયાળા માટેની તૈયારી કરી રહ્યું છે.
તંગદિલી વચ્ચે ચીને ભારતમાંથી પીવીસીની વિક્રમી આયાત કરી
સરહદે તંગદિલી વચ્ચે ચીને અસામાન્ય સ્થિતિથી ઉપર ઊઠીને જૂનમાં ભારતમાંથી પીવીસીની વિક્રમી આયાત કરી છે. ગ્લોબલ રબર માર્કેટના રિપોર્ટ મુજબ ચીને જૂનમાં ભારતમાંથી રેકોર્ડ 27,207 મેટ્રિક ટન પીવીસીની આયાત કરી, જે મે મહિનામાં કરાયેલી 5,174 મેટ્રિક ટન પીવીસીની આયાતથી પાંચ ગણીથી પણ વધુ છે.