શું ફરી વીકેન્ડ લોકડાઉન?:ડોકટરો અને વેપારીઓ કોરોના કાબૂમાં લાવવા આંશિક લોકડાઉનની તરફેણમાં, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Ahmedabad Gujarat
  • શહેરોમાં ફરજિયાત રાત્રિ કર્ફ્યૂ, ગામડાંમાં સ્વૈચ્છિક લોકડાઉન
  • વીકેન્ડ લોકડાઉન લાદી ઝડપી કોરોના કાબૂમાં લાવવા વેપારી એસોસિયેશનની માગણી
  • ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને PM મોદીને પત્ર લખી લોકડાઉન કરવા અપીલ કરી

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી એલર્ટ થયેલા તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદના વિવિધ બજારો ધરાવતા નગરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂના કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિએશન માને છેકે, કોરોના કાબુમાં લેવા હવે સરકારે વિકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ જેથી ઝડપથી કાબુ આવી શકે. સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે તેવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે, અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વિક એન્ડ લોકડાઉન લાદવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

PMની પણ મીની લોકડાઉન અંગેની વિચારણા
ગુજરાતમાં કોરોના કાળમાં એક તરફ નાઈટ કરફયુ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. તે સમયે અનેક શહેરોમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. વાસ્તવમાં નાઈટ કરફયુને કારણે રાજયમાં વ્યાપાર ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે, પરંતુ અનેક મેડિકલ સહિત એસો.જે રીતે સ્વયંભુ લોકડાઉનની વાતો કરી રહ્યા છે. તેમાં સરકારનું આડકતરુ દબાણ પણ હોવાનું માનવામાં આવે છે. અગાઉ જ ગુજરાત સરકારે લોકડાઉન નહીં આવે તેવી જાહેરાત કરી છે અને તેમાં પીછેહઠ કરી શકાતી નથી પરંતુ આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે. ખુદ વડાપ્રધાને પણ મીની લોકડાઉન અંગે વિચારણા કરવા અધિકારીઓને જણાવ્યું છે ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે તેવી સ્થિતિ બની શકે છે.

અગાઉ લોકડાઉનના કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા

શહેરમાં શનિવાર-રવિવાર કર્ફયુ રાખવો જોઈએ
ગુજરાતમાં મોટાભાગના એસોસીએશનો માની રહ્યા છે કે, અગાઉ લોકડાઉનના કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયુના સમયમાં ફેરફાર કરેલ છે. જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકશાન કરતા સાબીત થયેલ છે. ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂના કારણે વિપરીત અસર પડેલ છે. તેમાં વિવિધ એસોસીએશનના હોદેદારોએ તો સરકાર સુધી રજુઆત પણ કરી છે કે, શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયુ રાખવો જોઈએ. એટલે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયુ હોવો જોઈએ જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને કોરોનાની સાયકલ ટુટી શકે.

16252 એક્ટિવ કેસ અને 167 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 44 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 21 હજાર 598ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,581 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 765 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16252 એક્ટિવ કેસ છે, જેમાંથી 167 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 16,085 દર્દીની હાલત સ્થિર છે.

દૈનિક 3 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન થાય છે
દૈનિક 3 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન થાય છે

3 લાખ 280ને રસી આપવામાં આવી
ગઈકાલે રાજ્યમાં 3 લાખ 280ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 67 લાખ 62 હજાર 638 લોકોને પ્રથમ ડોઝ અને 8 લાખ 10 હજાર 126 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 72 લાખ 72 હજાર 764નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 73 હજાર 41 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 257 હજાર 343ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *