- આ દુર્ઘટનામાં આશરે 15થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે
- કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવર આજે વહેલી સવારે 6.55 વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બઝર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. વહેલી સવારના કારણે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.


આ દુર્ઘટનામાં આશરે 15થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે. જેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવા પાછળ શું કારણ છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની કીટલી હતી તેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. જેમાં વાયરીંગમાંથી આગ વધુ પ્રસરી અને મોટા સાઈન બોર્ડ હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી.



