કોરોનાની ત્રીજી લહેરની તૈયારી માટે સરકાર વિગતો માંગે છે. પણ તેને રોકવા માટે અથવા મૃત્યુનું પ્રમાણ ઓછુ઼ રાખવા માટે પણ વેક્સિનેશનની જરૂર છે. ત્યારે વેક્સિનજ પૂરતી નથી. તો સરકાર આમાં કેવી રીતે લોકોને બચાવી શકશે ? એવો વેધક સવાલ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યએ કર્યો છે. અને સરકારના અપૂરતા વ્યવસ્થાતંત્ર સામે ભારોભાર રોષ ઠાલવ્યો છે.
હેમાબેનને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અત્યારે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 10 જિલ્લામાં કોરોનાની રસી આપે છે. પણ બાકીના 23 જિલ્લાનું શું ? બીજી લહેરમાં પહોંચી નહોતા શક્યા. જો વેક્સિનેશન નહીં થાય તો ત્રીજી લહેરને પણ સરકાર પહોંચી નહીં શકે. અત્યારે ફક્ત જાહેરાત થાય છે. પણ કેટલાય દિવસો સુધી વેક્સિન અપાતી નથી. જરા યુવા પેઢીનો તો વિચાર કરો. કોરોનાની ત્રીજી લહેરમાં તેને વેક્સિન નહીં આપી હોય તો તેને કેવી રીતે બચાવી શકાશે. હવે હદ થાય છે. વેક્સિનેશન કાર્યક્રમ સઘન બનાવવાની ફક્ત વાતો કરવાથી તે નહીં થાય. લોકોને વેક્સિન લેવી છે. પણ ડોઝ નથી. આ કેવી વ્યવસ્થા કરો છો? ક્યાં કોને કહેવું? સામાન્ય માણસોનો આમાં મરો થવાનો છે.

ત્રીજી લહેર આવે તો? સરકારે અત્યારથીજ વિગતો માંગી
કોરોનાની ઘાતક નિવડેલી બીજી લહેર વખતે સર્જાયેલી અફડાતરફીનો માહોલ સૌથી વધુ જોખમી બન્યો હતો. ત્યારે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો ? આની દહેશતને લીધે પૂર્વ તૈયારી રૂપે આજે રાજ્યના તમામ સીડીએચઓની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં દરેક સિવીલ હોસ્પિટલ, સીએચસી, પીએચસી સહિતના દવાખાનાઓમાં ઓક્સિજનની શું સુવિધા છે, બેડ કેટલા છે, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ કેટલો છે અને કેટલો ઘટે છે, વેન્ટીલેટરની શું સ્થિતી છે. આ બધી વિગતો મેળવવામાં આવી હતી.