- મદદનીશ દ્વારા રસોય તૈયાર કરવામાં આવી રહી છે
ઊના પંથકના કાળાપાણ ગામની શાળા જર્જરિત હાલતમાં છે. જ્યાં 1 થી 8માં 566 છાત્રો અભ્યાસ અર્થે આવે છે. જો કે, બે પાળીમાં શૈક્ષણિક કાર્ય કરાવાઈ રહ્યું છે. 18 રૂમમાંથી 6 જર્જરિત હોય તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત છાત્રો માટે મધ્યાહ્ન ભોજન માટેની વ્યવસ્થા પણ યોગ્ય ન હોય. જેથી દિવ્ય ભાસ્કરની ટીમે રીયાલીટી ચેક કર્યું હતું. ત્યારે મધ્યાહ્ન ભોજનના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકાર દ્રારા શિક્ષણક્ષેત્રે મસમોટી વાતો થાય છે. પરંતુ સીક્કાની બીજીબાજુ તદન વિપરીત જોવા મળી રહી હોય તેમ શાળાના 400થી વધુ છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહ્ન ભોજન લેતા જોવા મળતા હતા. અને ભોજન લીધા બાદ ડિશો છાત્રો દ્વારા જ સાફ કરાતી હોવાનું જણાયું હતું.

શાળાની વિઝીટનાં 20 મહીના પૂર્ણ છતા શાળાની હાલત એજ
ઊના પંથકનાં કાળાપાણ પ્રા.શાળામાં હાલ 566 છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં કુલ 18 રૂમો હતા જેમાંથી 6 રૂમો સાવ જર્જરીત થઇ ગયેલ હોવાથી ડિમોલેશન કરી તા.1 ઓગ.2019નાં તોડી પાડવામાં આવેલ અને સરકાર દ્રારા જે તોડી પાડવામાં આવેલ 6 રૂમોનું પેકેજ તૈયાર થઇ ગયેલ છે. અને વારંવાર એન્જીનીયર દ્રારા શાળાની વિઝીટ પણ કરી ગયેલ હોવા છતાં 20 મહીના વિતવા છતાં પણ નવા 6 રૂમો બન્યા નથી. તે સિવાય વર્તમાન જે 12 રૂમો કાર્યરત છે. તે પણ જર્જરીત છે. તેમની રીપેરીંગ માટે ગ્રાન્ટની માંગણી મૂકેલ પણ હજુ સુધી રીપેરીંગ માટેની પણ ગ્રાન્ટ આવેલ ન હોવાનું શાળાના આચાર્યએ જણાવેલ હતુ. ત્યારે મધ્યાહન ભોજનની હાલત તો દયનિય હોય તે સ્વાભાવિક છે પ્રા.શાળાના 566 છાત્રોમાંથી રોજનો 400થી વધુ છાત્રો મધ્યાહ્ન ભોજનનો લાભ લેતા હોય અને બાળકો માટે મધ્યાહ્ન ભોજન માટેનો જે શેડ બનાવામાં આવ્યો છે તે 10 બાય 12નો એટલે કે એક ઓરડી જેવો બનાવામાં આવ્યો છે.

બળબળતા તડકામાં છાત્રો ભોજન લેવા મજબૂર
જેમાં 50થી છાત્રો બેસી ન શકે ત્યાં 400 છાત્રો કેવી રીતે બેસી શકે તેમાંય વાવાઝોડા દરમ્યાન શેડનું એક તરફનું પતરૂ પણ ઉડી ગયેલ હોવાથી શેડ પણ નુકશાન ગ્રસ્ત થઇ ગયેલ છે. ત્યારે હાલ 400 જેટલા છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહ્ન ભોજન લેવા મજબૂર બન્યા છે. જ્યારે ઘણા છાત્રો કલાસરૂમમાં બેસીને ભોજન કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે શાળાના મેદાનમાં પણ કચરો જોવા મળતા હોય બાળકો કચરાના અને ધૂળના ઢગલા પર બેસી ભોજન લેતા હોવાના રૂશ્યો જોવા મળતા હતા.
રસોયાબેનની નિવૃતી બાદ નિમણૂક થઈ નથી
આ અંગે શાળાના આચાર્યએ જણાવેલ હતુ કે, અમારી પાસે કોઇ વ્યવસ્થા નથી બાળકોને બેસાડવાની તો પણ અમે કલાસરૂમમાં બાળકોને બેસાડીએ છીએ આમ હાલ બાળકો તડકામાં ભોજન લઇ રહ્યા છે. ત્યારે જોવાની વાત એ છેકે કાળાપાણ પ્રા.શાળામાં વર્ષ 2021માં રસોયાબેન નિવૃત થઇ ગયા બાદ આજદિન સુધી તંત્ર દ્રારા નવા રસોયાની નિમણૂક કરવામાં આવેલ ન હોય મદદનિસો દ્રારા રસોય બનાવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે ગ્રામજનોમાંથી એવી માંગણી ઉઠવા પામેલ છે કે ભણવાના રૂમો તો જ્યારે બને ત્યારે પણ મધ્યાહ્ન ભોજનનો શેડ બાળકોની સંખ્યા પ્રમાણે બનાવી આપે તો પણ ઘણુ છે.
બાળકો ડીશો સાફ કરતા જોવા મળ્યા
એક તરફ બળબળતા તડકામાં છાત્રો ભોજન લીધા બાદ ભોજનની થાળી બાળકો જ સાફ કરતા હોવાનું જોવા મળતા આચાર્યએ જણાવેલ હતુ કે આજે હેલ્પર રજા પર હોવાથી બાળકો દ્રારા ડીશ સાફ કરવામાં આવી રહી છે. જ્યારે બાળકોમાંથી જાણવા મળેલ કે ભોજન કર્યા બાદ અમે જ ડીશો રોજ સાફ કરીએ છીએ.
ધો-8માં બે શિક્ષકોની કાયમી ઘટ
બીજી તરફ ધો-8માં બે શિક્ષકો જેમાં ભાષાના શિક્ષક અને બીજી ગણિત- વિજ્ઞાનના શિક્ષકની ઘટ હોવાથી વિદ્યાર્થીના ભણતર પર પણ અસર થતી હોવાનું વાલીગણમાંથી જાણવા મળેલ હતું.